@(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં કોમી એકતાના પ્રતિક સમાન હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા આજે હિંદુ અને મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક જ મંડપ નીચે હિંદુ અને મુસ્લિમ મળીને કુલ ૧૭ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. જે પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા ૨૨ વર્ષથી હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા હિંદુ મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. અને ચાલુ વર્ષે ૨૩ માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમૂહ લગ્નમાં ૧૦ મુસ્લિમ યુગલ અને ૭ હિંદુ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. એક જ છત નીચે કોમી એખાલસભર્યા વાતાવરણમાં સમૂહ લગ્ન યોજાયા હતા જે પ્રસંગે નવદંપતીને આર્શીવચન પાઠવવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, મહંત ભાવેશ્વરીબેન તેમજ હિંદુ અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.