@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે ૧૮ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા.
આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રઓ સાથે ચર્ચા કરતા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગનાં અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. મેળામાં રસ્તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિકસ, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. લમ્પી વાઈરસનાં કારણે ગત વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ આ વર્ષે પશુમેળાનું આયોજન કરવામાં આવશે તે સંદર્ભે જરૂરી તૈયારીઓ કરવા સંબધિત વિભાગને સૂચના આપી હતી.કલેકટરશ્રીએ પી.જી.વી.સી.એલ.નાં અધિકારીઓને સમગ્ર મેળા દરમ્યાન વીજપુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપી હતી. વધુમાં તેમણે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જી.એ.પંડ્યા, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ તેમજ તરણેતરના સરપંચશ્રી/તલાટીશ્રી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહયા હતા